જંતરમંતર ખાતે ધરણાં પર બેઠેલા પહેલવાનોને મળવા સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના મહાનિદેશક સંદીપ પ્રધાન ત્યાં પહોંચ્યા હતા. તેમણે ખેલાડીઓ સાથે 4 કલાક સુધી વાતચીત કરીને ધરણાં બંધ કરવાની અપીલ કરી હતી. પહેલવાનોને ઉકેલ વિશે પૂછતાં પહેલવાન સંઘર્ષ સમિતિની ટીમે સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે લેખિત આશ્વાસન મળશે તો પણ સ્વીકાર્ય નથી કાર્યવાહી પછી જ ધરણાં બંધ કરાશે.
સાઇના અધિકારીઓ બીજી વાર પહેલવાનોને મળ્યા હતા. બીજી તરફ સમિતિના સભ્યોએ સંઘર્ષને વેગવંતો બનાવવા માટે તમામ પહેલવાનો અને કોચને જોડવાની કવાયત શરૂ કરી દીધી છે. પહેલવાનોએ સાઇ નિર્દેશકની વાતચીતમાં બે મુખ્ય માંગ રજૂ કરી હતી. પહેલવાનોએ કહ્યું, ‘કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ. આ અંગે સાઇના નિર્દેશકે કહ્યું કે કાયદા હેઠળ ધરપકડ કરાશે. કાયદો કાયદાનું કામ કરશે. પહેલવાનોએ બીજી શરત મૂકી હતી કે કુશ્તી સંઘને સંપૂર્ણપણે વિખેરી નાખવામાં આવે, જેથી કરીને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના પરિવારના સભ્યોને દૂર કરી શકાય. આ અંગે સાઇના નિર્દેશકે કહ્યું કે કોઈ પણ સંગઠનને એકાએક વિખેરી નાખવું અશક્ય છે. રમતગમત મંત્રાલયને આ માગણી પહોંચાડાશે. સત્વરે નિરાકરણ આવશે.



