રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજો રૂપિયાના માલિકોને શોધવા માટે 100 દિવસની ઝુંબેશ શરૂ કરશે. આ અભિયાનને 100 દિવસ-100 પેજ નામ આપવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ, દરેક બેંક 100 દિવસની અંદર દેશના દરેક જિલ્લામાં ટોચના 100 દાવા વગરના થાપણદારોને શોધીને તે ખાતાની કાર્યવાહી પૂર્ણ કરશે.
આરબીઆઈના આદેશ પર, તમામ બેંકો 1 જૂનથી આ અભિયાન શરૂ કરશે. નિયમ મુજબ, કોઈપણ બચત અથવા ચાલુ ખાતું કે જે 10 વર્ષ સુધી ઓપરેટ ન થતું હોય અથવા ટર્મ ડિપોઝીટ ખાતું જેમાં 10 વર્ષ સુધી કોઈ દાવો ન હોય તો આવા ખાતાઓમાં પડેલી રકમને દાવા વગરની અથવા દાવો ન કરેલી રકમ તરીકે ગણવામાં આવે છે. બેંકો પણ આ ગ્રાહકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ હોવા છતાં, જો કોઈ દાવેદાર ન મળે, તો તે વિશેષ ખાતામાં જાય છે.
તાજેતરની એક મીટિંગ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ દાવા વગરની રકમ અંગેના નિયમનકારોને કહ્યું હતું કે જ્યાં પણ દાવો ન કરાયેલી રકમ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા વીમાના રૂપમાં પડેલી હોય ત્યાં તેને પતાવટ કરવા. વિશેષ કામગીરી હાથ ધરવી. આર્થિક બાબતોના સચિવ અજય સેઠનું કહેવું છે કે આવા મામલાઓમાં જ્યાં નામાંકિત વ્યક્તિની માહિતી જાણી શકાતી નથી, ત્યાં નિર્ધારિત પ્રક્રિયા હેઠળ પગલાં લેવામાં આવશે.
જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ રૂ. 35,000 કરોડની રકમ છે જેના પર કોઈએ દાવો કર્યો નથી. સરકારી બેંકોએ આ નાણાં રિઝર્વ બેંકને ટ્રાન્સફર કર્યા છે. આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI પાસે 8,086 કરોડ રૂપિયાની દાવા વગરની રકમ છે. તે પછી પંજાબ નેશનલ બેન્કમાં રૂ. 5,340 કરોડ, કેનેરા બેન્કમાં રૂ. 4,558 કરોડ અને બેન્ક ઓફ બરોડામાં રૂ. 3,904 કરોડ છે.