ચક્રવાતી તોફાન બિપરજોયને ભારતના દરિયાકાંઠે પહોંચવામાં બે દિવસ બાકી છે, પરંતુ તે પહેલાથી જ તેનું પ્રચંડ સ્વરૂપ બતાવી રહ્યું છે. મુંબઈથી કેરળના દરિયાકાંઠે દરિયામાં તોફાની મોજાઓ ઉછળી રહ્યાં છે. વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતમાં થવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છેદરમિયાન, રાહતના સમાચાર એ છે કે IMD એ બિપરજોયને અત્યંત તીવ્ર તોફાનની શ્રેણીમાંથી ઘટાડી બહુ તીવ્ર તોફાન કરી દીધું છે.
IMDના અપડેટ મુજબ, મંગળવારે બિપરજોય ગુજરાતના પોરબંદર કિનારેથી લગભગ 290 કિમી દૂર અરબી સમુદ્રમાં છે. તે 15 જૂનની સાંજ સુધીમાં ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરે તેવી સંભાવના છે. IMDએ કચ્છથી લઈને મુંબઈ સુધી એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારીની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જિલ્લાઓમાં લોકોને દરિયામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ચક્રવાત બિપરજોયની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યું છે. NDRFની 12 ટીમો તૈનાત છે, જ્યારે 15 વધુ ટીમો તૈયાર છે.
ગુજરાતના દરિયાકાંઠાના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અને બુધવાર અને ગુરુવારે પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તોફાનની ચેતવણી બાદ ગુજરાતના અનેક બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં દેશના સૌથી મોટા જાહેર ક્ષેત્રના બંદર કંડલાનો પણ સમાવેશ થાય છે. કંડલા પોર્ટ પરથી 15 જહાજો રવાના કરવામાં આવ્યા છે. ઓખા, પોરબંદર, સલાયા, બેડી, નવલખી, માંડવી અને જખૌ બંદરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
તોફાનની ગંભીરતાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પૃથ્વી વિજ્ઞાન સચિવ એમ રવિચંદ્રન, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય કમલ કિશોર અને ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ હાજરી આપી હતી.
કચ્છમાં નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર, સાત તાલુકામાં ૧૮૭ શેલ્ટર સેન્ટર કાર્યરત
કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલારૂપે સુધી કચ્છ જિલ્લામાં સાત તાલુકામાં મીઠાના ૪૫૦૯ અગરિયા તેમજ સાત તાલુકાના ૧૨૦ ગામના સર્વે કરાયેલા ૯૫૭૯ અસર ગ્રસ્તો પૈકી ૨૨૨૧ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સાત તાલુકામાં ૧૮૭ શેલ્ટર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.




