ચક્રવાત બિપરજોય ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જ્યારે કેશોદમાં 5.5 ઈંચ, સૂત્રાપાડામાં સવા 5 ઈંચ, માળિયા હાટીનામાં 5 ઈંચ, માંગરોળમાં સવા 4 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, વંથલીમાં સવા 3 ઈંચ, ઉપલેટામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ, તલાલામાં પોણા 2 ઈંચ, જૂનાગઢમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 15 જૂને રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂને રાજકોટ, પોરબંદર, મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓની શાળામાં રજા જાહેર કરાઈ
બિપરજોય વાવાઝોડાના ખતરાને જોતા દરિયા કાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. નવસારીના દરિયાકાંઠાના ગામોના બીચ પર સહેલાણીઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવલ, કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં 2 દિવસ, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે. તો ગીર સોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે.



