વિનાશક બિપોરજોય વાવાઝોડું સમુદ્રમાં 8 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાને લઈને સતત અપડેટ મેળવી રહી છે. જોકે, તેની કેટેગરી એક્સટ્રિમલી સિવિયર સાઈક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિયર સાઈક્લોનિક સ્ટ્રોમમાં બદલાઈ છે. આ વાવાઝોડાથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પર ભારે જોખમ ઊભું થયું છે. આ રીતે સાતે સાત જિલ્લાના લાખો લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે, બિપરજોય વાવાઝોડું 15 જૂનના જખૌ બંદરથી પસાર થશે. બિપરજોય વાવાઝોડું જખૌથી 290 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 300 કિમી, નલિયાથી 310 કિમી, પોરબંદરથી 350 કિમી, કરાંચીથી 370 કિમી દૂર છે. વાવાઝોડું દરિયા કિનારે ટકરાશે ત્યારે 135 કિમીની ઝડપે પવન ફુંકાશે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે જામનગર, પોરબંદર, મોરબી, ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. જ્યારે આજે દ્વારકા, પોરબંદર, કચ્છ, રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ 85 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે.
24 કલાકમાં 87 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકામાં 3.5 ઈંચ, ઉપલેટામાં પોણા 3 ઈંચ, મેંદરડામાં 2.5 ઈંચ, જામજોધપુરમાં 2.5 ઈંચ, કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, પોરબંદરમાં સવા 2 ઈંચ, જૂનાગઢમાં સવા 2 ઈંચ, માંડવીમાં 2 ઈંચ. ખાંભામાં પોણા 2 ઈંચ, લાલપુરમાં પોણા 2 ઈંચ, વંથલીમાં પોણા 2 ઈંચ, સાવરકુંડલામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.




