ભારતમાં આ વર્ષના અંતમાં રમાનારી વન-ડે વર્લ્ડકપમાં 4 મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. જ્યાં હોમ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમનું પલ્લું ભારે હોવાનું કહેવાય છે. સાથે જ પાકિસ્તાનની ટીમ પાસેથી પણ વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. આ દરમિયાન પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન મિસબાહ ઉલ હકે આ ODI વર્લ્ડ કપને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે.
એક ખાનગી ચેનલને આપેલા નિવેદનમાં મિસબાહ-ઉલ-હકે આગામી વર્લ્ડ કપની ભવિષ્યવાણી કરી અને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ જોવા મળી શકે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે આ વખતે ODI વર્લ્ડ કપ જીતવાની સુવર્ણ તક છે.
2015ના ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ કરનાર મિસબાહે કહ્યું કે, પાકિસ્તાન પાસે આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ જીતવાની શાનદાર તક છે. હાલના ICC રેન્કિંગમાં અમારા 3 બેટ્સમેન ટોચના સ્થાન પર છે. અમારી પાસે બોલિંગમાં પણ ઘણા સારા વિકલ્પો છે. માત્ર અમારે યોગ્ય વ્યૂહરચના સાથે રમવું પડશે અને વર્લ્ડ કપ માટે વધુ સારી ટીમ મોકલવી પડશે.
ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે
ભારત દ્વારા આયોજિત થનારો ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થાય તેવી સંભાવના છે. જો કે, સત્તાવાર શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં તેની તમામ મેચો કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલુરુમાં રમવા માટે સહમત થઇ છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર મેચ રમાઈ શકે છે.
WTC Final હાર્યા બાદ પત્ની રિતિકા અને દીકરી સાથે વેકેશન માણી રહ્યો છે રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા સાથે રજાઓ ગાળવા ગયો છે. ભારતીય કેપ્ટને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એક તસવીર શેર કરી છે, જેમાં પત્ની રિતિકી અને પુત્રી સમાયરા જોવા મળી રહી છે. તસવીરમાં રિતિકા અને સમાયરા બગીચામાં ઉભા છે અને તેમની પાછળ દરિયો દેખાઈ રહ્યો છે.




