અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિરે ઉમટ્યા હતા.
વહેલી સવારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા છે. વહેલી સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
પહિંદ વિધિ સંપન્ન થયાં બાદ સવારે 7 વાગ્યા ભગવાન જગન્નાથજીનો રથ નિજમંદિરેથી બહાર નિકળ્યો તે પછી સવારે 7:05 વાગ્યે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ બહાર નિકળ્યો હતો.
ભગવાન જગન્નાથની રથયાત્રા 146 વર્ષથી આ ક્રમમાં પ્રતિવર્ષે ચાલતી આવી છે. રાજ્યમાં સુ:ખ, શાંતિ અને સમુદ્ધિ માટે ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાર્થના કરી જણાવ્યું હતું કે, આજે પુન: ભગવાન નગરયાત્રાએ નિકળી અને પ્રજાજનોને દર્શન આપવાના છે ત્યારે મારું પણ સદ્ભાગ્ય છે કે આજે મને ભગવાન જગન્નાથના પુજન-અર્ચન કરવાનો મોકો મળ્યો છે. હું મારી જાતને સદ્ભાગી સમજુ છું. આજે આપણે સૌ મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરીએ કે, ગુજરાત હરહંમેશ સદ્ભાવના, એકતા, સુ:ખ શાંતિ અને સમુદ્ધિ સાથે આગળ વધે તેના માટે ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હું પણ પ્રાર્થના કરું છું. આ વર્ષ અષાઢીબીજ એટલે કચ્છીબંધુનું નવું વર્ષ. દેશ અને દુનિયામાં વસતા દરેક કચ્છીબંધુને મારી ખુબ-ખુબ શુભકામનાઓ પાઠવું છું. જય જય જગન્નાથ.
જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન
ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા. આ નવા રથ જૂના રથની ડિઝાઇન અને તેના માપ મુજબ જ બનાવવામાં આવ્યા છે. નવા રથની ઊંચાઈ અને પહોળાઈ જૂના રથ પ્રમાણે જ છે. એકમાત્ર નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. રથની વચ્ચે ભગવાનને બેસાડવામાં આવે છે તેની બાજુના પિલર બનાવવામાં આવેલા છે, તેની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે.


