ગુજરાતમાં 154 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. જ્યારે 48 કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં 20 તાલુકામાં 2 ઈંચથી સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો છે. મંગળવારના બપોર પછી 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ 60 મીમી ભાવનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે જ્યારે વલ્લભીપુરમાં 50 મીમી, સુરેન્દ્રનગરમાં 22 મીમી અને અમદાવાદમાં 20 મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ-રાજકોટ સિક્સલેનની કામગીરી ચાલી રહી છે,જેમાં અનેક જગ્યાએ બ્રિજની કામગીરી ચાલુ છે. લીંબડી પાસે પણ હાલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેથી જે ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે એના પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. ગઈકાલે કલાકો સુધી ટ્રાફિકજામ રહેતાં હાઈવે પર 6 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ અને આરએન્ડબીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ થોડીવાર માટે સ્થિતિ સામાન્ય થઈ હતી પરંતુ, ફરી વરસાદ શરૂ થતા જ ટ્રાફિકજામ થઈ ગયો હતો.



