મુંબઈ હાઈકોર્ટમાં સાંજે 7 કલાકે બકરી ઈદને લગતી એક અરજી પર સ્પેશિયલ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે ચુકાદો આપતા નોંધ્યું હતું કે બકરી ઈદના દિવસે રહેણાંક વિસ્તારમાં બકરાની કુરબાની ન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મુંબઈના થાણેના મીરા રોડ સ્થિત એક સોસાયટીમાં બકરી ઈદ માટે બકરા લાવવાને લઈને ભારે હોબાળો થયો હતો. જોકે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
બીજી તરફ પીડિત યુવકોએ હોબાળો કરનારાઓ સામે એફઆઈઆર નોંધાવી હતી. યુવકે 8 થી 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બકરા લાવનાર મોહસીન મુજબ આ સોસાયટીમાં 200 થી 250 મુસ્લિમ પરિવારો રહે છે અને દર વર્ષે બિલ્ડર અમને બકરી રાખવા માટે જગ્યા આપતો હતો. જો કે આ વખતે બિલ્ડરે કહ્યું હતું કે અમારી પાસે જગ્યા નથી. આ અંગે તમે સોસાયટી સાથે વાત કરો. મોહસીનના કહેવા મુજબ તેણે સોસાયટી પાસે બકરા રાખવા માટે જગ્યા પણ માંગી હતી. પરંતુ સોસાયટી દ્વારા કોઈ જગ્યા આપવામાં આવી નહોતી, તેથી મંગળવારે વહેલી સવારે મોહસીન પોતાના ઘરે બે બકરા લઈ આવ્યો હતો.
જોકે મોહસીન કહે છે કે અમે સોસાયટીમાં ક્યારેય કુરબાની આપતા નથી. અમે હંમેશા કત્લખાના કે બકરાની દુકાનમાં જ કતલ કરાવીએ છીએ. જોકે જેવી સોસાયટીના અન્ય લોકોને બકરા લાવવા અંગેની જાણ થઈ કે તરત જ તેમણે દેખાવો શરૂ કર્યા હતા. જોકે પોલીસ અધિકારીએ સમાજના લોકોને કહ્યું હતું કે નિયમ મુજબ સોસાયટીમાં કુરબાની આપી શકાય નહીં અને જો આમ કરવામાં આવશે તો અમે કે નોંધીને ધરપકડ કરીશું.




