વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10:45 વાગ્યે રાયપુર પહોંચ્યા અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડથી 7,000 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. વડાપ્રધાનની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી, મનસુખ માંડવિયા પણ મંચ પર હાજર હતા.
વડાપ્રધાને તેમના ભાષણમાં કહ્યું- છત્તીસગઢની વિકાસ યાત્રામાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો દિવસ છે. આજે છત્તીસગઢને 7,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ ભેટમાં આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની આ યોજનાઓથી આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી સફર શરૂ થશે.
PMએ કહ્યું- આજની યોજનાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી માટે છે. આ ભેટ છત્તીસગઢના લોકોનું જીવન સરળ બનાવવા, અહીંની આરોગ્ય સેવાઓમાં સુધારો કરવા માટે છે. ભારત સરકારના આ પ્રોજેક્ટ્સથી અહીં રોજગારીની ઘણી નવી તકો પણ ઊભી થશે. ડાંગરના ખેડૂતો, ખનિજ સંપત્તિ અને પર્યટન સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને પણ આ પ્રોજેક્ટ્સથી ઘણો ફાયદો થશે. સૌથી મોટી વાત એ છે કે આ આદિવાસી વિસ્તારોમાં સુવિધા અને વિકાસની નવી યાત્રા શરૂ કરશે.
9 વર્ષ પહેલાં છત્તીસગઢના 20% થી વધુ ગામડાઓમાં કોઈપણ પ્રકારની મોબાઈલ કનેક્ટિવિટી ન હતી, આજે તે ઘટીને લગભગ 6% થઈ ગઈ છે. આમાંના મોટાભાગના ગામો આદિવાસી અને નક્સલી હિંસાથી પ્રભાવિત છે. ગામડાંઓને પણ સારી 4G કનેક્ટિવિટી મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર 700 થી વધુ મોબાઈલ ટાવર સ્થાપિત કરી રહી છે. તેમાંથી 300 જેટલા ટાવરોએ કામ શરૂ કરી દીધું છે. આજે છત્તીસગઢ 2-2 ઈકોનોમિક કોરિડોર સાથે જોડાઈ રહ્યું છે. રાયપુર-ધનબાદ ઈકોનોમિક કોરિડોર અને રાયપુર-વિશાખાપટ્ટનમ ઈકોનોમિક કોરિડોર આ ક્ષેત્રનું ભાગ્ય બદલવા જઈ રહ્યા છે.




