નવી દિલ્હી:
ઉતર ભારતમાં સતત ત્રીજા દિવસે ચાલુ રહેવા ભારે વરસાદમાં એક તરફ હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ જેવી સ્થિતિ છે અને રાજયના છ જીલ્લા ભારે વરસાદ, પુર તથા વિનાશક સ્થિતિના કારણે તબાહ થઈ ગયા છે તથા લાખો લોકો સુધી પહોચવું પણ અઘરુ થયુ છે તો બીજી તરફ પાટનગર દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદના કારણે યમુના નદીનું જળસ્તર વધી રહ્યું છે અને ત્યાના નિચાણવાળા ક્ષેત્રોમાં પાણી ભરાતા ખુદ ગૃહમંત્રી અમિત શાહ હવે પરીસ્થિતિ પર કંટ્રોલ કરવા મેદાનમાં આવી ગયા છે તો ઉતર ભારતમાં હરિયાણા તથા પંજાબમાં પણ થઈ રહેલી ભારે વર્ષાથી અંબાલા જી.ટી.રોડ બંધ થતા હરિયાણાના પંજાબ સાથેનો સંપર્ક તુટી ગયો છે તથા હાઈવેથી લઈને રેલવે માર્ગ તથા ખેતરોમાં ચોતરફ પાણી-પાણી જ નજરે ચડે છે.
હિમાચલમાં અલગ અલગ ક્ષેત્રમાં 300 લોકો હજું ગંભીર સ્થિતિમાં ફસાયા છે જેને ઉગારવા આર્મીની મદદ લેવાઈ છે. સિમલા કાલકા માર્ગ પર ભૂસ્ખલનના કારણે રેલવે માર્ગ પણ ઠપ્પ થઈ ગયો છે. હિમાચલમાં તમામ નદીઓ ભારે ઉફાણ હેઠળ છે. પંચવત્રક મંદિર પણ પાણીથી ઘેરાઈ ગયુ છે.
ઉતરાખંડમાં પણ ભારે વરસાદથી પરીસ્થિતિ બગડી છે તો જમ્મુ-કાશ્મીરમાં વરસાદી વાતાવરણ યથાવત રહેતા સતત બીજા દિવસે અમરનાથ યાત્રા રોકવાની ફરજ પડી છે. હિમાચલમાં છેલ્લા ચાર દિવસના ભારે વરસાદમાં 72 લોકો માર્યા ગયા છે તો ઉતરાખંડમાં પણ તોફાની વરસાદી આરંભથી ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિ બની રહી છે. ઉતર ભારતમાં જમ્મુ-કાશ્મીરથી ઉતરાખંડ -હરિયાણા -પંજાબ-ઉતરપ્રદેશ અને છેક રાજસ્થાન સુધી વરસાદથી બે-બે સીસ્ટમ અમલી બનતા આ તોફાની વરસાદનો કહેર સર્જાયો છે.
દિલ્હીમાં ભારે વરસાદ ચાલુ રહેતા યમુનાના પાણી નીચાણવાળા ક્ષેત્રોમાં ઘુસી ગયા હતા અને યમુનાજી જળસ્તર 206 મીટરની ખતરાની સપાટી પાર કરીને ઉપર વહી રહ્યું છે. ઉતરાખંડના 11 જીલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ અપાયુ છે.હરિદ્વાર-ઉધમસિંહ નગર નૈનિતાલ ચંપાવત અને પિપોરાગઢ સહિતના ક્ષેત્રોમાં લોકોને બહું જરૂરી નહી હોય તેવા પ્રયાસો નહી કરવા જણાવ્યું છે. હરિયાણામાં પાનીપતમાં પણ યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેના કારણે હાઈવે પર પાણી ફરી વળતા પંજાબ-હરિયાણા માર્ગ-ટ્રેન વ્યવહાર પુર્ણ રીતે બંધ થયો છે.






