મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે વધુ એક નર ચિત્તાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા ચિત્તાનું નામ તેજસ છે. ચિત્તાઓના સતત મૃત્યુએ કુનો નેશનલ પાર્કના વહીવટીતંત્રની ચિંતા વધારી છે.
મંગળવારે સવારે 11 વાગે મોનિટરિંગ ટીમ દ્વારા નર ચિત્તા તેજસના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેજસની ગરદન પર ઈજાના નિશાન જોયા બાદ મોનિટરિંગ ટીમે તરત જ પાલપુર હેડક્વાર્ટરમાં હાજર વાઈલ્ડલાઈફ ડોક્ટરોને જાણ કરી હતી. દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા 20 ચિત્તાઓમાંથી અત્યાર સુધીમાં 5 મૃત્યુ પામ્યા છે.
નર ચિત્તા તેજસને ઈજા થઈ હોવાની માહિતી મળતા વન્યજીવ તબીબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તબીબોએ તેજસની ઇજાની તપાસ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ચિતાના ઘા ગંભીર જણાતા તેજસને બેભાન કર્યા બાદ સારવારની પરવાનગી મળતાં તબીબોની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. તેજસનું સારવાર દરમિયાન બપોરે 2 વાગ્યે મોત થયું હતું. હવે ચિત્તા તેજસને થયેલી ઈજાઓની તપાસ કરવામાં આવી રહી છે.
મંગળવારે મૃત્યુ પામેલા ચિત્તા તેજસને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર કુનો નેશનલ પાર્કના DFO પીકે વર્માએ તેજસના મોત અંગે જણાવ્યું હતું કે તેજસ કેવી રીતે ઘાયલ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે તેની સાથે અન્ય કોઈ ચિત્તા નહોતા. હાલમાં માત્ર પાંચ ચિત્તા જ રાખવામાં આવ્યા છે અને તેમાંથી એક પણ સાથે નથી.