દિલ્હીમાં રવિવારે બપોરે 3 વાગ્યે, યમુનાનું જળ સ્તર ફરી એકવાર ખતરાના નિશાનને પાર કરી ગયું અને 206.26 મીટર નોંધાયું છે. પ્રશાસને રાજધાનીના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા માટે એલર્ટ જાહેર કર્યું છે.
રાજધાનીમાં યમુના નદીનું જળસ્તર રવિવારે ફરી એકવાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુનાના જળસ્તરમાં વધારો થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીના જળસ્તરમાં વધારો થવાથી રાષ્ટ્રીય રાજધાનીના પૂરથી પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યને અસર થઈ શકે છે.
મહેસૂલ મંત્રી આતિશીએ શનિવારે કહ્યું હતું કે હથિનીકુંડ બેરેજમાંથી યમુના નદીમાં બે લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાને કારણે પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર હાઈ એલર્ટ પર છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જો પાણીનું સ્તર 206.7 મીટર સુધી પહોંચે છે, તો યમુના ખાદરના કેટલાક ભાગો ડૂબી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી યમુનાનું જળસ્તર 205.33 મીટરના ખતરાના નિશાનની આસપાસ જઈ રહ્યું છે. 13 જુલાઈના રોજ આ રેકોર્ડ 208.66 મીટરે પહોંચ્યો હતો.





