ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ ચંદ્રયાન-3 મિશનને લઈને જણાવ્યું છે કે ચંદ્રયાન 3 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી છે અને હવે તે ચંદ્ર તરફ ઉડાન ભરી રહ્યું છે. ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું.
ISROએ ટ્વીટ કર્યું, “ચંદ્રયાન-3 મિશન લોન્ચ થયાના 19 દિવસની અંદર પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે. ચંદ્રયાન-3 હવે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ એ પણ જણાવ્યું કે તેનું આગામી સ્ટોપ ચંદ્ર છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે 5 ઓગસ્ટ, 2023 માટે લુનર ઓર્બિટ ઇન્સર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈસરોના વૈજ્ઞાનિકોએ હવે ચંદ્રયાન-3ને ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂક્યું છે. ઇસરોએ તેને ટ્રાન્સલ્યુનર ઇન્જેક્શન દ્વારા ચંદ્ર તરફ વાળ્યું છે. ટ્રાન્સલુનર ઈન્જેક્શન માટે, બેંગલુરુમાં ઈસરોના મુખ્યાલયના વૈજ્ઞાનિકોએ થોડા સમય માટે ચંદ્રયાનનું એન્જિન શરૂ કર્યું. વૈજ્ઞાનિકોએ ગઈકાલે રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ મોકલ્યું હતું.
લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી અનેક પ્રયોગો કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેશે અને પૃથ્વી પરથી આવતા રેડિયેશનને શોધી કાઢશે. હવે ચંદ્રયાન 5 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચશે. ઈસરોએ જણાવ્યું હતું કે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાનનું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ થશે.





