અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટના છાસવારે બનતી હોય છે પરંતુ હવે તસ્કરો પુસ્તકોની પણ ચોરી કરતા ખચકાતા નથી એવી એક ઘટના રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં તસ્કરો ધાર્મિક પુસ્તક ભગવદ ગીતા સહિત કુલ રૂ.91 હજારના પુસ્તકો ચોરી ગયા હતા.
ઘોડાસરમાં રહેતા સીનીયર સીટીઝન મહેન્દ્રભાઈ ગુલાબભાઈ નાયક રખિયાલ અજીતમીલ પાસે રીગલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના ખુલ્લા શેડમાં ફાઈબરની ઓફીસ ધરાવી જાતે પુસ્તકોના લેખનનું કામ કરે છે તેમજ તેમના લખેલા પુસ્તકોની પ્રિન્ટ કરાવીને પુસ્તકોનુ વિતરણ કરી વેપાર કરે છે. તેમની પાડોશની એસ્ટેટમાં કામ કરતા વિષ્ણુજી ઠાકોરે તેમને જાણ કરી હતી કે તેમની ઓફિસની ફાઈબર સીટ તુટેલી હાલતમાં છે. મહેન્દ્રભાઈ સ્થળ પર જઈને તપાસ કરતા તેમની ઓફિસના કેબિનમાં મુકેલા 940 નંગ પુસ્તકો ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે તેમણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ધાર્મિક પુસ્તકોની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.





