રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચર્ચા ચાલી રહી છે. આમ છતાં બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેરમાં મિસાઈલ હુમલા કર્યા હોવાનું બહાર આવ્યું છે. શહેરમાં રહેણાંક મકાનને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને 31થી વધુ લોકો ઘાયલ થયા હતા.
યુક્રેને હુમલાની નિંદા કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે મોસ્કોએ એક સાદી રહેણાંક ઇમારત પર હુમલો કર્યો. તેઓએ સોવિયેત યુગની પાંચ માળની ઈમારતના ફૂટેજ પણ જાહેર કર્યા છે. આ ઈમારતનો ઉપરનો માળ ધરાશાયી થઈ ગયો છે. હુમલા બાદ બચાવ કાર્ય ચાલુ છે. તેમની પોસ્ટમાં, ઝેલેન્સકીએ લખ્યું છે કે કાટમાળ હજુ પણ સાફ કરવામાં આવી રહ્યો છે અને “શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે આપણે કોઈપણ કિંમતે રશિયાના આતંકને રોકવો પડશે. તેણે દુનિયાભરના દેશોને અપીલ કરી હતી કે જે કોઈ પણ યુક્રેનને રશિયા વિરુદ્ધ મદદ કરશે તે આતંકવાદીઓને હરાવી દેશે. કારણ કે રશિયાએ આ યુદ્ધમાં જે કર્યું છે તેના માટે તેને જવાબદાર ઠેરવવું પડશે.