ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ 2023નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ પહેલા 3 સપ્ટેમ્બરે વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઇ શકે છે.એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન સામે મેચ રમવાનું છે. આ મેચ પછી વર્લ્ડકપની ભારતીય ટીમની જાહેરાત થઇ શકે છે. એશિયા કપમાં 17 સભ્યોની ટીમ રમવા જશે જ્યારે વર્લ્ડકપમાં ખેલાડીઓની સંખ્યા 15 જ રહેશે એવામાં જોવાનું રહેશે કે સિલેક્ટર્સ ક્યા ખેલાડીઓને મેન સ્કોડમાં સામેલ કરી શકે છે. આઇસીસી અનુસાર વર્લ્ડકપ માટે ટીમ જાહેર કરવાની અંતિમ તારીખ 5 સપ્ટેમ્બર છે.
ભારતની વર્લ્ડકપ ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી ફિક્સ છે. તાજેતરમાં જ ફિટ થઇને ટીમમાં પરત આવેલા શ્રેયસ અય્યર અને કેએલ રાહુલને પણ તક મળશે. ઇશાન કિશનને ટીમમાં બેકઅપ વિકેટકીપર અને ઓપનર તરીકે તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસન બન્નેમાંથી એક ખેલાડીનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. વર્લ્ડકપ ટીમમાં હાર્દિક પંડ્યાને ફાસ્ટ બોલિંગ ઓલ રાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવશે. હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન પણ હશે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ ટીમમાં સામેલ થશે. એશિયા કપની જેમ તિલક વર્માને વર્લ્ડકપ ટીમમાં તક મળવી મુશ્કેલ છે. ભારતીય ક્રિકેટ ટીમની બોલિંગ લાઇનઅપમાં કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ સામેલ થશે. આ ત્રીપુટીનો સાથ આપવા માટે ટીમમાં શાર્દુલ ઠાકુરનો સમાવેશ થઇ શકે છે. આ ખેલાડી બોલની સાથે બેટથી પણ સારૂ પ્રદર્શન કરવા માટે જાણીતો છે. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલને બેકઅપ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
વર્લ્ડકપ માટે ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર
બેકઅપ ખેલાડી: પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ અને સંજૂ સેમસન
