ચંદ્રયાન-3ના સફળ મિશન બાદ ઇસરોએ ભારતના પ્રથમ સોલર મિશન આદિત્ય-L1ને બીજી સપ્ટેમ્બરે સવારે ૧૧.૫૦ વાગે શ્રીહરિકોટાથી લૉન્ચ કરવાની ઘોષણા કરી હતી.
આદિત્ય-L1 અવકાશયાનને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે L1 ઑર્બિટમાં રાખવામાં આવશે, જે પૃથ્વીથી અંદાજે ૧૫ લાખ કિલોમીટર દૂર આવેલી છે. ચંદ્ર કરતાં આ અંતર ચાર ગણું છે. આ એક એવું સ્થળ છે કે જે સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એવો વિસ્તાર તૈયાર કરે છે, જેનો ઉપયોગ અવકાશયાન પોતાના જરૂરી બળતણનો વપરાશ ઘટાડવા માટે કરે છે. ઇસરોએ કહ્યું હતું કે ભારતની પહેલી અવકાશમાં સ્થિત વેધશાળાને PSLV-C57 રૉકેટ દ્વારા છોડવામાં આવશે. આદિત્ય-L1 મિશન સૂર્યના કોરોનાથી નીકળનારી ગરમી અને ગરમ હવાઓનો અભ્યાસ કરશે. સૌર વાયુમંડળને, સૌર હવાઓના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે. સૌર તોફાનો આવવાને કારણે એની પૃથ્વીના વાયુમંડળ પર શું અસર થશે એનો સ્ટડી કરશે.