ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઈમ કરતાં ગુનેગારો પણ હવે અલગ અલગ મોડસ ઓપરન્ડસીથી સાઇબર ક્રાઇમ કરી રહ્યા છે. જે ગુનાઓ ઉકેલવામાં આવતા પડકારોનો સામનો કરવા માટે સાયબરક્રાઇમ દ્વારા છેલ્લા છ વર્ષમાં મળેલ ફરિયાદનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે ફરિયાદનો અભ્યાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સાયબર ગુનેગારો દ્વારા મોટું ટર્નઓવર કરતી કંપનીઓના આર્થિક વ્યવહારોની ગુપ્ત માહિતી મેળવવામાં આવી રહી છે અને તેમના વેપાર ધંધા સાથે સંકળાયેલ બેંક એકાઉન્ટની વિગતોમાં ફિશિંગ ઇમેલ થકી ફેરફારો કરીને કંપનીની જાણ બહાર કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. તેમજ કંપનીના જ કોમ્પ્રોમાઈઝ્ડ થઈ ગયેલ ઈમેલ દ્વારા તેમના ગ્રાહકોના ઈ-મેલમાં માલવેર વાયરસ સેન્ડ કરીને છેતરપિંડીના ગુનાઓ કરવામાં આવી રહ્યા છે.
સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના માલવેર વાયરસ ઉપર રિસર્ચ અને એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આવા ટેકનિકલ ગુનાઓ આચરતા સાયબર ક્રિમિનલ દ્વારા અમદાવાદના 250 સહિત સમગ્ર ગુજરાતના કુલ 500 જેટલી કંપનીના ઇ-મેલ આઇડી પર વોચ રાખીને તેમના ઈમેલ અથવા તો કોમ્પ્યુટર માલવેર વાયરસ સેન્ડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમના બેંક એકાઉન્ટની વિગતોમાં છેડછાડ કરીને પેમેન્ટ મેથડ બદલવી કે સીમ સ્વિપિંગ જેવા ટેકનિકલ ગુનાઓ બની શકે છે. આવી કંપનીઓ સાથે ફાઇનાન્સિયલ ફ્રોડ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે.
આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ ૧૪ સરકારી ઇમેલ આઇડી પણ કોમ્પ્રોમાઇઝડ થયા હતા. આ તમામ કંપનીઓને સાયબર ક્રાઇમ દ્વારા સાવચેત રહેવા માટેની જાણ કરવામાં આવશે. ઉપરાંત સાઇબર ક્રાઇમ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે દરેક વ્યક્તિએ પોતાના ઈમેલ કોમ્પ્યુટર સુરક્ષિત રાખવા માટે તેમના ઈ-મેલમાં રહેલ એટેચમેન્ટ ફાઈલ તથા લિંકને એન્ટિવાયરસથી સ્કેન કરીને ઓપન કરવી જોઈએ. તેમજ કોમ્પ્યુટરને અપડેટ રાખવું જોઈએ જેથી સાયબર ક્રિમિનલ્સ દ્વારા મોકલવામાં આવતા માલવેલ વાયરસ તેમજ ફિશિંગથી બચવામાં મદદરૂપ થઈ શકે. દેશની 500થી વધારે કંપની હેકરોના ટારગેટ પર છે. જેમના કોમ્યુટર્સમાં માલવેર વાયરસથી એટેક કરીને તેમની નાણાકીય વિગતો મેળવી છે.