દેશભરમાં દરેશાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદી દિલ્હીમાં રામલીલા મેદાનમાં વિજયાદશમી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં રાવણ, કુંભકરણ અને મેઘનાથ સહિતના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પુતળા મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાઓના વિરોધમાં તૈયાર કરવામાં આવ્યા હતા. અહીં પહોંચી પીએમ મોદીએ પૂજા-અર્ચના કરી હતી.
જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે તે દશેરાની શુભેચ્છા આપે છે. અસત્ય પર સત્યના વિજયનું આ પર્વ છે. આપણે દર વર્ષે રાવણ દહન કરીએ છીએ, પરંતુ આ પૂરતું નથી. આ પર્વ સંકલ્પોનું પુનરાવર્તન કરવાનો તહેવાર છે. આ વખતે આપણે વિજયાદશમી ઉજવી રહ્યાં છીએ, જ્યારે ચંદ્રમા પર આપણા વિજયના બે મહિના પૂરા થયા છે. વિજયાદશમી પર શસ્ત્ર પૂજાની પણ પરંપરા છે, શસ્ત્રોની પૂજા આધિપત્ય માટે નહીં રક્ષા માટે કરવામાં આવે છે. આજે આપણે સૌભાગ્ય મળ્યું છે કે ભગવાન રામનું ભવ્ય મંદિર બનતું જોઈ રહ્યાં છીએ. અયોધ્યામાં આગામી રામનવમી પર લોકોને આનંદિત કરનાર ક્ષણ હશે. રામમંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવામાં થોડા મહિના બાકી છે. સદીઓ બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે.
પીએમ મોદીએ વિજયાદશમીના પર્વ પર લોકોને દસ સંકલ્પ લેવાનું કહ્યું. તેમાં ક્વોલિટી કામ પર ફોકસ, આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખી પાણી બચાવવાનું છે, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, પહેલા દેશમાં ફરીશું પછી વિદેશ, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ, યોગ ફિટનેસ પર ધ્યાન, એક ગરીબ પરિવારનું સભ્ય બની તેનું સામાજિક અને આર્થિક સ્તર વધારવું.
મોદીએ કહ્યું કે આજે ભારતે ચંદ્રમા પર વિજય મેળવ્યો છે. થોડા સમય પહેલા નવા સંસદ ભવનમાં પ્રવેશ કર્યો છે. નારી શક્તિ અધિનિયમ પસાર થયું છે. દુનિયા જોઈ રહી છે કે મધર ઓફ ડેમોક્રેસી છે. આ તહેવાર આપણા સંકલ્પોનો તહેવાર છે. દુનિયા ભારતની તાકાત જોઈ રહી છે. રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવામાં થોડા મહિનાઓ બાકી છે. એ આનંદની કલ્પના કરો જ્યારે સદીઓ પછી રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થશે. આજે ભારતે ચંદ્ર પર વિજય મેળવ્યો છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે.