આ વર્ષે સુરતમાં નવરાત્રિ લોહિયાળ સાબિત થઈ છે. નવરાત્રિ દરમિયાન સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળ્યો છે. રાંદેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં હિમગિરિ એપાર્ટમેન્ટમાં રહેતા મયૂરભાઈ રાઠોડની તેમના સાળાએ હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે.
સાળાએ ચપ્પાના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખતાં બનેવીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મરનાર મયૂર રાઠોડ અને તેની પત્ની કાજલ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી ઘરકંકાસ ચાલતો હતો. મયૂર રાઠોડ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો હતો અને તેના આ સંબંધની જાણ તેની પત્ની કાજલ અને તેના સાળા વિક્કીને થઈ ગઈ હતી. મયૂરે પ્રેમિકાને ગૂગલ પે કરી 25 હજાર આપ્યા હતા, જે અંગે જાણ થતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં સાળા વિક્કીએ વચ્ચે પડી મયૂરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ મયૂ,ર પ્રવીણભાઈ રાઠોડ (ઉં.વ. 35) પાલનપુર પાટિયાના હિમગિરિ એપાર્ટમેન્ટમાં પત્ની કાજલ સાથે રહેતા હતા અને હજીરાની કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. કાજલ અને મયૂરનાં 10 વર્ષ પહેલા પ્રેમલગ્ન થયાં હતાં. લગ્ન બાદ કાજલને પહેલી ચાર પ્રેગ્નન્સી રહી નહોતી. પાંચમી વાર કાજલ સગર્ભા બની હતી અને તેને 7 માસનો ગર્ભ હતો.