આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં રવિવારે સાંજે બે ટ્રેનો અથડાઇ હતી. આ અકસ્માતમાં સોમવારે સવારે મૃત્યુઆંક વધીને 13 થયો હતો. આ અકસ્માતમાં 50 મુસાફરો ઘાયલ થયા હતા.
રેલવેના જણાવ્યા અનુસાર, અકસ્માત વિઝિયાનગરમ જિલ્લાના અલામંદા-કંકટપલ્લી વચ્ચે થયો હતો. વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેને પાછળથી ટક્કર મારી હતી. ઈસ્ટ કોસ્ટ રેલવેના સીપીઆરઓ વિશ્વજીત સાહુએ જણાવ્યું કે, અકસ્માત માનવીય ભૂલને કારણે થયો હતો. પાછળથી આવી રહેલી વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરે સિગ્નલને ઓવરશોટ કર્યું, જેના કારણે ટક્કર થઈ. વોલ્ટેર ડિવિઝન રેલવે મેનેજર સૌરભ પ્રસાદે જણાવ્યું હતું કે, આ અથડામણને કારણે બંને ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાંથી ત્રણ કોચ અગ્રેસર ટ્રેનના હતા અને બે કોચ પાછળ આવતી ટ્રેનના હતા