ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ ફરી એકવાર પાકિસ્તાની સેના પર તબાહી મચાવી છે. માહિતી અનુસાર, પ્રાંતના ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાના એક અધિકારી અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ’એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હસન હૈદર અને ત્રણ સૈનિકો ગુપ્ત માહિતીના આધારે એક ઓપરેશન દરમિયાન માર્યા ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન દરમિયાન લેફ્ટનન્ટ કર્નલ હૈદરના નેતૃત્વમાં પાકિસ્તાની સેનાના જવાનોએ આતંકવાદીઓને અસરકારક રીતે ઘેરી લીધા હતા.
ISPR દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનના ભાગરૂપે 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિવાય ત્રણ અન્ય આતંકીઓ પણ ઘાયલ થયા છે. આઈએસપીઆરના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેથી કરીને જો કોઈ વધુ આતંકવાદી મળી આવે તો તેને ખતમ કરી શકાય. વચગાળાના વડા પ્રધાન અનવર ઉલ-હક કાકરે સૈન્ય અધિકારી અને ત્રણ સૈનિકોની હત્યા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને કહ્યું કે જ્યાં સુધી દેશમાંથી આતંકવાદને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે.