ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ધસી આવ્યું હતું. પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનાને પગલે પોલીસે ટોળાને કાબૂમાં લઇને મામલો થાળે પાડ્યો હતો.
ઘટનાની જાણ થતાં ડીસીપી લીના પાટીલ દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જોકે પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે, જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને અમારી પર લાઠીચાર્જ કર્યો.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા ટાઉનશીપ ફ્લેટમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજમહેલ રોડ પર ઉંટખાનની ગલીના નાકે મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવું છું અને દુકાનની ઓફરો મારા ગ્રાહકોને જણાવવા માટે હું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને ઓફરોની જાહેરાત કરૂં છું. ગઇ તા.21/02/2024ના રોજ સાંજના 7.23 વાગ્યાની આસપાસ હું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો હતો. જેથી અમારા ગ્રાહકોને જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ હું ઓફરની જાહેરાત કરતો હતો, તે દરમિયાન sahid-patel-7070 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી કોમેન્ટ કરીને ધાર્મિક લાગણી દુભાય તેવી બિભત્સ ગાળ લખી હતી. જેથી આ કોમેન્ટ મેં જોઈ અને તેની તપાસ કરતા તેનું નામ સહીદ પટેલ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહાલક્ષ્મી સોસાયટીની સામે, પાદરા, જિ.વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. મેં તેને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો અને તેની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપરથી કોમેન્ટ વાળો ફોટો ડિલિટ કરી નાખ્યો હતો.
અમારા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ તેના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. ત્યાર બાદ સહીદ સાથે ફોન પર વાત કરતા તે મારી સાથે દાદાગીરી કરીને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું પાદરામાં બેઠો છું, તાકાત હોય તો આવી જા પાદરા. તેમ કહી મને ધાક ધમકી આપી હતી. તેની પોસ્ટથી ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી મેં તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા મોડી રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આરોપી સહીદ પટેલ જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ તેવી જીદ પકડી હતી. આ સમયે પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા જામ્યા હતા. ત્યાર બાદ મોડી રાત્રે 12.50 વાગ્યાની આસપાસ ખાટકીવાડની ગલીમાંથી 100થી 150 લોકોનું ટોળું અચાનક પોલીસ સ્ટેશન પાસે આવી ચડ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.