વડાપ્રધાન મોદી આજથી બે દિવસીય ભૂટાનના પ્રવાસે ગયા છે. ભૂટાનની રાજકીય મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે દિલ્હીથી રવાના થયાં છે. જો કે, પીએમ મોદી ગયા ગુરુવારે જ રવાના થવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન પીએમ મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને તેમના પિતા જિગ્મે સિંગે વાંગચુક ( ભૂતપૂર્વ રાજા)ને મળશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલયએ બુધવારે એક નિવેદનમાં આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી ‘પાડોશી પહેલાની નીતિ’ અંતર્ગત ભૂટાનની મુલાકાતે ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ યાત્રા ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત રીતે ઉચ્ચસ્તરીય આ વિનિમયની પરંપરા અને ‘પાડોશી પહેલાની નીતિ’ પર ભાર આપવાના સરકારના પ્રયાસોને અનુરૂપ છે.
PMOએ જાણકારી આપી કે, ભારત અને ભૂટાન વચ્ચે પરસ્પર વિશ્વાસ, સમજ અને સદ્ભાવના પર આધારિત કાયમી ભાગીદારી રહીં છે. તેમણે કહ્યું કે, ‘અમારો સામાન્ય આધ્યાત્મિક વારસો અને બંને દેશોના લોકો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો અમારા અસાધારણ સંબંધોમાં નિકટતા અને ગતિશીલતા ઉમેરે છે.’ PMOએ કહ્યું કે, આ મુલાકાત બંને પક્ષોને પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરે અને બંને દેશોના લોકોના લાભ માટે અમારી અનુકરણીય ભાગીદારીને વિસ્તારવા અને મજબૂત કરવાના માર્ગો અને માધ્યમોની ચર્ચા કરવાનો અવસર પૂરો પાડશે.