અલીગઢમાં ગુરુવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી. નમાજ પૂરી થયા પછી કેટલાક યુવાનોએ ‘ફ્રી પેલેસ્ટાઈન’ના બેનરો દર્શાવતા શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું. ચુસ્ત સુરક્ષા વચ્ચે શાહજમાલ ઈદગાહ ખાતે સવારે ઈદની નમાઝ શરૂ થઈ હતી. શહેરના મુફ્તી અને ઈમામ દ્વારા જૂની ઈદગાહ અને નવી ઈદગાહમાં શાંતિપૂર્ણ રીતે નમાઝ અદા કરવામાં આવી હતી.
આ દરમિયાન કેટલાક યુવાનોએ ઈદગાહની બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું અને ‘ફ્રી પેલેસ્ટાઈન’ લખેલા શબ્દોવાળા પેલેસ્ટાઈનના ઝંડા અને બેનરો બતાવ્યા. આ જોઈને દેખાવકારોને કસ્ટડીમાં લીધા. જેનો ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે નમાઝીઓએ પોલીસ અધિકારીઓ સાથે દલીલ કરી હતી. થોડા સમય બાદ આંદોલનકારીઓને સૂચના આપી છોડી મુકવામાં આવ્યા હતા.
રસ્તા પર નમાઝ અદા કરવા પર પ્રતિબંધ હોવા છતાં, ગુરુવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવા શાહજમાલ ઈદગાહ પહોંચેલા કેટલાક લોકોએ રસ્તા પર જ નમાઝ અદા કરી હતી. નમાઝીઓએ કહ્યું કે જ્યાં સુધી તેઓ ઈદગાહ પહોંચે ત્યાં સુધીમાં નમાઝનો સમય પુરી થઇ જશે, તેથી આ કરવામાં આવ્યું.