ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેણે વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે ODIમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર હતો. પોતાની નિવૃત્તિનો વીડિયો પોસ્ટ કરતા શિખરે લખ્યું- હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું, હું મારી સાથે અગણિત યાદો અને કૃતજ્ઞતા લઈને જઈ રહ્યો છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ…
શિખર ધવને 1 મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં કહ્યું- બધાને નમસ્કાર… આજે હું એવા વળાંક પર ઊભો છું. જ્યાંથી પાછળ જુઓ ત્યારે તમને માત્ર યાદો જ દેખાય છે, અને આગળ જુઓ ત્યારે તમે આખી દુનિયા જોઈ શકો છો… મારું હંમેશાં એક જ લક્ષ્ય હતું, ભારત માટે રમવાનું. જે પૂરું થયું, આ માટે હું ઘણા લોકોનો આભાર માનું છું, સૌ પ્રથમ મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારક સિંહા જી…મદન શર્મા જી, જેમની અંડર હું ક્રિકેટ શીખ્યો છું.
ગબ્બરે આ વીડિયોમાં ટીમ ઈન્ડિયામાં રમવાના અનુભવ વિશે આગળ વાત કરી. ધવને કહ્યું- ટીમમાં રમ્યા બાદ મને મારા ફેન્સનો પ્રેમ મળ્યો. પરંતુ કહેવાય છે ને કે કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી છે. હું પણ એ જ કરવા જઈ રહ્યો છું. આ વાક્ય બોલતાની સાથે જ શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કરી દીધો.
શિખર ધવને આ વીડિયો સંદેશમાં એ પણ કહ્યું હતું કે તેને સુકૂન છે કારણ કે તે દેશ માટે ક્રિકેટ રમ્યો. ધવને કહ્યું- હું BCCI (ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) અને DDCA (દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન)નો ખૂબ આભારી છું, જેમણે મને તક આપી અને તમામ ચાહકોને… હું પોતાને પણ એ જ કહી રહ્યો છું કે- મારે એ વાતથી દુઃખી થવાની જરૂર નથી કે હું દેશ માટે હવે નહીં રમું. પરંતુ એ વાતની ખુશી હું મારી સાથે રાખું કે હું દેશ માટે ખૂબ રમ્યો અને એ જ મારી માટે સૌથી મોટી વાત છે.