સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. એ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતાં ત્યાં પહોંચી હતી. પરંતુ ત્રણેય આરોપીએ ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન આરોપી મુન્ના કરબલી પાસવાન અંધારામાં ભાગવાની કોશિશ કરવા લાગ્યો ULA. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચના PI જીતેન્દ્ર ગોસ્વામીએ તેના પર પિસ્તોલ તાકી દીધી હતી. આમ છતાં આરોપી ભાગી રહ્યો હતો, જેથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને તેમાં તે માત્ર 5 ફૂટથી બચી ગયો. જો કે ત્યારબાદ મુન્ના ચાર ડગલા આગળ જઈને તે રસ્તા પર બેસી ગયો અને જીવ બચાવવા આજીજી કરવા લાગ્યો કે, મારી ધરપકડ કરી લો.
ત્રીજા આરોપી રાજુને જિલ્લા LCB ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબ્જો લેવા અમદાવાદ રવાના થઈ છે. આ અંગે LCB પીઆઈ રાજેશ ભટોલે જણાવ્યું હતું કે, માંગરોળ દુષ્કર્મ કેસનો વોન્ડેટ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ-અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળતા આ માહિતી રેલવે LCB અમદાવાદને જાણ કરતા રેલવે LCB પીઆઈ હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી સ્ટેશન ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે.
મુન્નાને ત્રણ પોલીસકર્મીએ ઉંચકીને કોર્ટમાં લઈ જવો પડ્યો
આ 3 આરોપી પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. ત્યાર બાદ 10 ઓક્ટોબરે બપોર બાદ શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતા સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જ્યારે મુન્નાની બરાબરની ‘ટ્રીટમેન્ટ’ થઈ હોવાથી ત્રણ પોલીસકર્મીએ ઉંચકીને કોર્ટમાં લઈ જવો પડ્યો હતો. જ્યાં કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.