ગૃહ મંત્રાલયે મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલા વંશીય સંઘર્ષનો ઉકેલ શોધવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે આજે નવી દિલ્હીમાં મેઈતેઈ, કુકી અને નાગાસમુદાયોના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. રાજ્યમાં એક વર્ષથી ચાલી રહેલી હિંસાનો અંત લાવવા માટે આ પ્રકારની બેઠક પ્રથમ વખત બોલાવવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી બેઠકમાં ત્રણ નાગા ધારાસભ્યો હાજરી આપશે, જ્યારે તે હજી સ્પષ્ટ નથી કે મેઇતેઈ અને કુકી સમુદાયોના કેટલા ધારાસભ્યો તેમાં હાજરી આપશે. આ વાટાઘાટો વિરોધાભાસી સમુદાયો વચ્ચે સંવાદ શરૂ કરવા અને સંકટનો ઉકેલ શોધવાના કેન્દ્રના પ્રયાસોનો એક ભાગ છે.
મે 2023 માં મણિપુરમાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. નાગા સમુદાયના ત્રણ ધારાસભ્યો અવાંગબો ન્યુમાઈ, એલ. ડીકો અને રામ મુઇવાહ બેઠકમાં હાજરી આપશે. મુઇવાહ હાલમાં એક અંગત બાબતને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર છે. ત્રણેય ધારાસભ્યો નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના સભ્યો છે, જે રાજ્યમાં સત્તારૂઢ ભાજપના સહયોગી છે.
. વાટાઘાટોમાં ભાગ લેનારા તમામ નાગા, કુકી અને મેઇતેઈ ધારાસભ્યોને ગૃહ મંત્રાલય દ્વારા પત્રો અને ટેલિફોન દ્વારા વ્યક્તિગત રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે. અવાંગબો ન્યુમાઈએ ઈમ્ફાલ એરપોર્ટ પર જણાવ્યું હતું કે અમને કેટલીક બાબતો પર ચર્ચા કરવા માટે દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું છે. મને હજુ સુધી ચોક્કસ એજન્ડાની ખબર નથી. અમે શાંતિ લાવવાના તમામ માર્ગો પર વિચાર કરી રહ્યા છીએ. ડિકોએ કહ્યું કે જ્યાં સુધી તમામ સમુદાયો અને લોકો સામેલ નહીં થાય ત્યાં સુધી મણિપુરમાં શાંતિ લાવવી મુશ્કેલ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે મેઘચંદ્રએ કહ્યું કે ઉકેલ સુધી પહોંચવાની કોઈપણ પહેલ સારી બાબત છે, પરંતુ વિરોધ પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું નથી.