જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની જ્યારે શરદ પૂર્ણિમાના અવસરે જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા લોકોએ સંઘના કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલામાં 7 થી 8 કાર્યકરો ઘાયલ થયા છે.
હુમલાખોરોએ લોકોના પેટ અને છાતી પર છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલોમાં શંકર બાગરા, મુરારીલાલ, રામ પારીક, લખન સિંહ જાદૌન, પુષ્પેન્દ્ર અને દિનેશ શર્મા અને અન્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપીઓની ધરપકડની માગ સાથે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે ઘટનાસ્થળે શાંતિ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોર નસીબ ચૌધરી અને તેના પુત્રને પોલીસે કસ્ટડીમાં લીધા છે. દરમિયાન અન્ય હુમલાખોરોની શોધ ચાલી રહી છે.
મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, તેઓ હોસ્પિટલ ગયા છે અને ઘાયલોને મળ્યા છે. રાજસ્થાનમાં કાયદાનું શાસન રહેશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યું હતું. આ દરમિયાન 2-3 લોકો ત્યાં આવ્યા હતા અને પહેલા મોટા ખીરના માટલાને લાત મારી હતી અને પછી અપશબ્દો બોલવા લાગ્યા હતા. લોકોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેમણે 7-8 લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. લોકોએ તેમને પકડી લીધા અને તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘાયલોની સ્થિતિ ખતરાની બહાર છે. સ્થિતિ નિયંત્રણમાં છે.