બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલા ચક્રવાતી તોફાન ‘દાના’એ રાતે લગભગ 12:30 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું. જે હજુ થોડો સમય ચાલુ રહેશે. પવનની ઝડપ ઘટીને 10 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. IMDના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ પહેલા તોફાન છ કલાકમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. તે કેન્દ્રપારા જિલ્લામાં ભીતરકણિકા અને ભદ્રક જિલ્લાના ધમરા વચ્ચેના દરિયાકિનારે પહોંચ્યું હતું અને પવનની ઝડપ લગભગ 110 કિમી પ્રતિ કલાકની હતી.
દાનાની અસરને કારણે ઓડિશામાં સતત વરસાદ થઈ રહ્યો છે. 5.84 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધામરા સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ભદ્રક, કેન્દ્રપરામાં 30 સેમીથી વધુ વરસાદની અપેક્ષા છે. તોફાનની અસર 7 રાજ્યોમાં જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળ સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1.59 લાખ લોકોને બહાર કાઢ્યા છે. તેમાંથી 83,537 લોકોને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. કોલકાતાનું નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ ગુરુવારે સાંજે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે.