મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીમાં જોડાઈ ગયા છે. જીશાન સિદ્દીકી હાલમાં બાંદ્રા પૂર્વ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને આ વખતે એનસીપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. મહા વિકાસ આઘાડીના શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ બાંદ્રા પૂર્વથી વરુણ દેસાઈને ટિકિટ આપી છે.
જીશાન સિદ્દીકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને NCP ચીફ અજિત પવારની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. ખાસ વાત એ છે કે જીશાને આ પગલું તેના પિતા બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસો બાદ ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જીશાને MVA પર તેના પિતાની હત્યા બાદ તેને એકલો છોડી દેવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું, ‘મારા અને મારા પરિવાર માટે આ ખૂબ જ ભાવનાત્મક દિવસ છે. હું અજિત પવાર, પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેનો આ મુશ્કેલ સમયમાં મારામાં વિશ્વાસ રાખવા બદલ આભારી છું. મેં બાંદ્રા પૂર્વથી ઉમેદવારી નોંધાવી છે. મને વિશ્વાસ છે કે લોકોના પ્રેમ અને સમર્થનથી હું ફરી એકવાર બાંદ્રા પૂર્વથી જીતીશ…’