નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી-એનસીપી ચીફ શરદ પવારે 5 નવેમ્બરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. તેના એક દિવસ બાદ બુધવારે તેમની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે પવાર સાહેબ રાજનીતિમાંથી સંન્યાસ લેશે નહીં. સુપ્રિયાએ ‘ધ હિંદુ’ના એક કાર્યક્રમમાં કહ્યું- શરદ પવાર ખાતા, સૂતા અને શ્વાસની દરેક ક્ષણે રાજકારણમાં જ રહે છે. તેઓ રાજકારણ વિના જીવી શકતા નથી. રાજકારણ તેમના માટે સૌથી મોટું ટોનિક છે અને તેઓ તેનો આનંદ માણે છે.
પવાર સાહેબે કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે એટલે કે તેઓ લોકસભા, રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આનો અર્થ એ નથી કે તે રાજકારણ છોડી દેશે. માત્ર અજિત પવાર જ ઈચ્છતા હતા કે તેઓ નિવૃત્ત થાય. બીજી તરફ, અજિત પવારને મહાવિકાસ અઘાડીમાં સમાવેશ કરવા અને શરદ જૂથ સાથે હાથ મિલાવવા અંગે સુપ્રિયાએ કહ્યું- અજિત સાથે સમાધાનનો કોઈ સવાલ જ નથી. અમે વિધાનસભાની ચૂંટણી પછી પણ તેમની સાથે હાથ નહીં મિલાવીએ.
84 વર્ષના શરદ પવારે 5 નવેમ્બરે બારામતીમાં કહ્યું, ‘મારે ક્યાંક તો રોકાવું જ પડશે. હું હવે ચૂંટણી લડવા માંગતો નથી. હવે નવા લોકોએ આગળ આવવું જોઈએ. મેં અત્યાર સુધી 14 વખત ચૂંટણી લડી છે. હવે મારે સત્તા નથી જોઈતી. મારે સમાજ માટે કામ કરવું છે. રાજ્યસભામાં જવું કે નહીં તે અંગે હું વિચાર કરીશ.