રાજ્યમાં અનુચ્છેદ 370ની પુનઃસ્થાપના માટે રજૂ કરવામાં આવેલા બિલને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થઈ રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કલમ 370ને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે અમે ગૌ ભક્ત છીએ. તેથી કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવા માંગીએ છીએ. જ્યારે કલમ 370 લાગુ થાય ત્યારે જ ગૌહત્યા પર પ્રતિબંધ યથાવત રહેશે.
જમ્મુ અને કાશ્મીરમાં ગૌહત્યાના વધતા જતા મામલાઓને ધ્યાનમાં રાખીને, સ્વામીજીએ કલમ 370ને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે કારણ કે જ્યારે કલમ 370 લાગુ હતી તે સમયગાળા દરમિયાન કાશ્મીરમાં રણબીર પીનલ કોડ અમલમાં હતો, જેના હેઠળ ગૌહત્યા પ્રતિબંધિત હતી. અને કોઈ ગૌહત્યા કરે, ગૌમાંસ પોતાની પાસે રાખે, અથવા ગૌમાંસનો વેપાર કરે તો, તેના માટે મૃત્યુદંડની જોગવાઈ હતી. તેમણે કહ્યું કે કાશ્મીરમાં કલમ 370 દરમિયાન ગૌહત્યા થઈ ન હતી, પરંતુ કલમ 370 હટાવ્યા બાદ ત્યાં ખુલ્લેઆમ ગૌહત્યા થવા લાગી છે. તેથી તે રાજ્યમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે.
શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે કલમ 370 સંબંધિત રાજકીય મુદ્દાઓ અલગ છે, પરંતુ જે પણ અમારા પક્ષમાં હતી, તેને યથાવત રાખી કલમ 370 દૂર કરવી જોઈતી હતી. કલમ 370 હટાવીને ત્યાંના મુસ્લિમોને ગાયની કતલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં ગૌહત્યા માટે કોઈ સજા નથી. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં ફરીથી કલમ 370 લાગુ કરવામાં આવે જેથી અમારી ગાય માતાને બચાવી શકાય.