બાંગ્લાદેશ ઈસ્કોન સાથે સંકળાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની સોમવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની વિરુદ્ધ દેશદ્રોહ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો કેસ છે. ચિન્મય પ્રભુના સહાયક આદિ પ્રભુએ જણાવ્યું હતું કે, તેમને ઢાકાના મિન્ટુ રોડ પરની ડીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની મુક્તિની માગ સાથે ઢાકામાં દેખાવો શરૂ થયા છે. પ્રદર્શનકારીઓએ ઢાકાના સેહબાગમાં મુખ્ય માર્ગને બંધ કરી દીધો છે, તેઓ ‘અમે ન્યાય માટે મરીશું, અમે તેમના માટે લડીશું’ ના નારા લગાવી રહ્યા છે.
બાંગ્લાદેશ મીડિયા અનુસાર, ચિન્મય પ્રભુ ઢાકાથી ચટગાંવ જતા હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા, અહીંથી ડિટેક્ટીવ પોલીસે તેની ધરપકડ કરી હતી. સ્થળ પર હાજર ઈસ્કોનના સભ્યોનું કહેવું છે કે ડીબી પોલીસે કોઈ ધરપકડ વોરંટ દર્શાવ્યું નથી. તેઓએ ફક્ત કહ્યું કે તેઓ વાત કરવા માંગે છે. આ પછી તેઓ તેને માઈક્રોબસમાં લઈ ગયા.
ચિન્મય પ્રભુને ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ સામે બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77 થી વધુ મંદિરો છે. દેશના લગભગ દરેક જિલ્લામાં ઈસ્કોન મંદિર છે. અંદાજ મુજબ 50 હજારથી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે.