કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને આજે એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાત સરકાર ના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ભાજપના તમામ સાંસદો , ભાજપના તમામ ધારાસભ્ય તથા કેટલાક પૂર્વ સાંસદ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના આગમન સમયે સીઆર પાટીલના પરીવારે પીએમને માતાજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આ સમારંભમાં હાજરી હતી. વડાપ્રધાન મોદીના આગમન બાદ હાજર તમામ લોકો સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભાજપના તમામ સાંસદ, ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય જોડાયા હતા. ભોજન સમારંભમાં પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પણ હાજર રહ્યા હતા. તો અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા પણ હાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા જ્યાં તે ફોટો સેશનમાં પણ જોડાયા હતા.
ભોજન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી સાથે એક જ ટેબલ પર જે પી નડ્ડા, અમિત શાહ, સી આર પાટીલ, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાયા હતા. તો બીજી તરફ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અન્ય ટેબલ પર અન્ય કેન્દ્રીય મંત્રી સાથે ભોજન માટે નજરે ચડ્યા હતા. ભોજન સમારંભમાં ખાસ કરીને સુરતી વાનગી લોકોને પીરસવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે તમામ મહાનુભાવોએ સુરતી ઉંધીયાનો સ્વાદ માણ્યો હતો આ ઉપરાંત અલગ અલગ નોવેલ્ટી વાનગી ભોજનમાં લીધી હતી. ભોજન સમારંભ ના અંતે સી આર પાટીલે તમામ હાજર લોકોને હાથમાં રાખવાનું પાકીટ અને બોલપેન ભેટમાં આપી હતી.