સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, સાથે રહેવાના આદેશનું પાલન ન કરવાની સ્થિતિમાં પણ પત્ની પોતાના પતિ પાસેથી ભરણ-પોષણ મેળવી શકે છે, પરંતુ મહિલાની પાસે પતિની સાથે ન રહેવાના યોગ્ય અને જરૂરી કારણ હોવા જોઈએ.
CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે આ પ્રશ્ન પર કાનૂની વિવાદનો ઉકેલ લાવ્યો કે શું વૈવાહિક અધિકારો ફરી આપવાના આદેશ મેળવનારા પતિ કાયદા અનુસાર, પત્નીને ભરણ-પોષણ આપવાથી મુક્ત થઈ જાય છે, જો તેમની પત્ની સાથે રહેવાના આદેશનું પાલન કરવા અને સાસરે પરત ફરવાની ના પાડે છે.જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ઝારખંડ હાઈકોર્ટના ઓગસ્ટ 2023ના ચુકાદાને ફગાવી દીધો. જેમાં મહિલાને ભરણ-પોષણ આપવાની ના પાડી દેવાઈ હતી. કારણ કે, તે મહિલા વૈવાહિક અધિકારો પરત કરવાના આદેશ છતા પોતાના પતિ સાથે રહેવા ન આવી. કોર્ટમાં એવા તથ્ય રાખવામાં આવ્યા હતા કે, પતિ સતત પોતાની પત્નીની સાથે ખરાબ વલણ કરતો હતો.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેની(પતિ) પાસે ન આવવાનું કારણ ખુબ યોગ્ય હતું. કોર્ટે પતિને નિર્દેશ આપ્યો કે તેઓ ઓગસ્ટ 2019માં અરજી કરવાના દિવસથી ભરણ-પોષણની ચૂકવણી કરે.
સમગ્ર મામલા પર ધ્યાન દઈએ તો, એક કપલના લગ્ન 1 મે 2014ના રોજ થયા હતા, પરંતુ ઓગસ્ટ 2015માં તેમનો સંબંધ તૂટી ગયો. પતિએ દાવો કર્યો કે, પત્ની 21 ઓગસ્ટ 2015ના રોજ તેની ઘર છોડીને ચાલી ગઈ અને પછી તે ક્યારેય પરત ન આવી. પતિએ વૈવાહિક અધિકારો પરત કરવા માટે રાંચીમાં ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી. પત્નીએ કોર્ટને જણાવ્યું કે, તેને માનસિક રીતે હેરાન કરાઈ અને તેની પાસે 5 લાખ રૂપિયાની માગ પણક રાઈ. તેણે એ પણ આરોપ લગાવ્યો કે, તેના પતિનો લગ્નેતર સંબંધ હતો અને 2015માં ગર્ભપાત થયા બાદ પણ તે તેને મળવા ન આવ્યો.
ફેમિલી કોર્ટે સાથે રહેવાનો આદેશ આપ્યો હતો
પત્નીએ એમ પણ કહ્યું કે, તેઓ પરત જવા તૈયાર છે, પરંતુ શરતો સાથે. તેના ઘરના ટોયલેટનો ઉપયોગ કરવા અને જમવાનું પનાવવા માટે બળતણના ચૂલાની જગ્યાએ ગેસના ચૂલો વાપરવાની મંજૂરી મળવી જોઈએ. 23 માર્ચ, 2022ના રોજ ફેમિલી કોર્ટે બંનેને સાથે રહેવાનો આદેશ આપ્યો, પરંતુ પત્નીએ તે આદેશનું પાલન ન કર્યું. તેના બદલે તેમણે ભરણ-પોષણ માટે ઝારખંડ હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો કે પત્નીએ સહવાસ આદેશનું પાલન કર્યું ન હતું અને આદેશ સામે અપીલ કરી ન હતી, તેથી તે ભરણપોષણ માટે હકદાર નહોતી.