વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એશિયાના પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યૂઝિયમને ગુરુવારે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખંુલ્લુ મૂકવામાં આવશે. જોકે, સામાન્ય જનતા 1 ફેબ્રુઆરીથી મુલાકાત લઈ શકશે.
ગ્રાઉન્ડ ફલોર સહિત ચાર માળના આ મ્યુઝિયમમાં સાત કાળના વડનગરની પ્રતીતિ કરાવતાં અવશેષો અને જૂની હસ્તપ્રતો જોઇ શકાશે. પ્રિ.મોર્ય, મોર્ય, ક્ષત્રપ, પોસ્ટ ક્ષત્રપ, સોલંકીકાળ, મુગલકાળ અને ગાયકવાડ કાળના કલ્ચર, વેપાર-ધંધા તેમજ અવશેષો અહીં પ્રદર્શનમાં મૂકાયાં છે. પર્યટકોને આખું મ્યુઝિયમ જોતાં લગભગ 3 કલાક જેટલો સમય નીકળી જશે. દેશ-વિદેશના લોકો માટે અલગ ટિકિટ દર રહેશે. જોકે, કેટલો ટિકિટ દર રખાશે તે બે દિવસમાં નક્કી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
વડનગર અમરથોળ દરવાજા નજીક ચાર એકરમાં રૂ.298 કરોડના ખર્ચે પીએસપી પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરાયેલા ઇન્ટરનેશનલ મ્યૂઝિયમમાં અલગ અલગ ફ્લોર ઉપર પ્રાચીન સમયની ચીજવસ્તુઓ મુકવામાં આવી છે. મ્યુઝિયમમાં પ્રવેશતાં જ મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. જેમાં પર્યટકો સ્ક્રીન સામે બેસીને હેડફોન મારફતે ઓડિયો-વીડિયો માધ્યમથી વડનગરનો ઇતિહાસ નિહાળી અને સાંભળી શકશે. ત્રણ ફ્લોર પર જવા આવવા માટે સીડીઓ અને બે લિફ્ટની સુવિધા ઊભી કરાઇ છે. પ્રથમ માળમાં પ્રોજેક્ટ પણ મૂકવામાં આવ્યાં છે. જેના પરથી વડનગરનો ઈતિહાસ જાણી શકાશે. તેમજ અલગ અલગ પ્રદર્શન પણ નિહાળી શકાશે. બીજા માળે પણ સાત કાળનાં અવશેષો મૂકવામાં આવ્યા છે. જેમાં સાતે કાળ દરમિયાન મળી આવેલા માટીના અવશેષો કાચમાં રાખવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે, અલગ અલગ કાળમાં તે માટી વપરાઇ હતી.
ત્રીજા માળે જૂના સમયના મકાનોનાં બારણાં અને પ્રતિકૃતિઓ, ઘરેણાં, સિક્કા, શંખ, વાસણો, રમકડાં, જૂના સમયનાં તાવીજ, ઓજારો સહિતની સામગ્રી ગેલેરીમાં ગોઠવવામાં આવી છે. દરેક ગેલેરી પર ડિજિટલ સ્ક્રીન લગાવાઇ છે. જેના થકી પર્યટકો સંપૂર્ણ વિગતો જાણી શકશે. ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ છે. જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. પ્રવાસીઓને પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષો જોવા માટે સીડી મારફતે જઈ શકશે, જ્યાં શેડ બનાવવામાં આવ્યો છે.