મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર બનાવેલા પેરોડી ગીતના વિવાદ પર કોમેડિયન કુણાલ કામરાની પહેલી પ્રતિક્રિયા આવી. સોમવારે મોડી રાત્રે કુણાલે સોશિયલ મીડિયા પર એક નિવેદન આપ્યું. કૃણાલે કહ્યું કે, હું માફી નહીં માંગુ, મેં જે કહ્યું કે બિલકુલ સત્ય છે. આ કંઇક એવું છે જે અજિત પવાર (ફર્સ્ટ ડેપ્યુટી સીએમ)એ એકનાથ શિંદે (સેકન્ડ ડેપ્યુટી સીએમ) વિશે કહ્યું હતું.કામરાએ આગળ કહ્યું- હું આ ભીડથી ગભરાતો નથી અને હું મારા ઘરમાં સંતાઈને આ ઘટનાના શાંત થવાની રાહ જોઈશ નહીં.
23 માર્ચે કામરાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક પેરોડી ગીત ગાઈ રહ્યો છે. તેની પહેલી પંક્તિ છે ‘થાણેની રિક્ષા, ચહેરા પર દાઢી, આંખો પર ચશ્મા…’ કુણાલે તેને ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીતની ધૂન પર ગાયું હતું. જેના પર વિવાદ થયો હતો. ગીતની શરૂઆતમાં જ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના લુકનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી તેમણે શિવસેના સામે બળવો કરવાની અને ધારાસભ્યો સાથે ગુવાહાટી જવાની વાત કરી. આ ઉપરાંત તે રિક્ષા (ઓટોરિક્ષા) ચલાવતો અને થાણેનો હોવાનો ઉલ્લેખ છે. શિંદે થાણેનો રહેવાસી છે અને પહેલાં ઓટોરિક્ષા ચલાવતો હતો. એ જ સમયે શિંદેને ગદ્દાર, પક્ષપલટુ અને ફડણવીસના ખોળામાં બેઠેલા તરીકે વર્ણવવામાં આવ્યા છે.
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ 24 માર્ચે FIR નોંધવામાં આવી હતી. મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે વિધાનસભામાં જણાવ્યું હતું કે કોમેડિયન કુણાલ કામરાના કોલ રેકોર્ડિંગ, સીડીઆર અને બેંક સ્ટેટમેન્ટની પણ તપાસ કરવામાં આવશે. આની પાછળ કોણ છે તે આપણે શોધીશું. અહીં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ટીમે યુનિકોન્ટિનેન્ટલ હોટેલ સામે કાર્યવાહી કરી. શિવસેના (શિંદે) ના કાર્યકરોએ આ પેરોડીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વાંધાજનક ટિપ્પણી ગણાવી અને રવિવારે રાત્રે યુનિકોન્ટિનેન્ટલ હોટેલમાં તોડફોડ કરી. કુલ 40 શિવસૈનિકો સામે FIR દાખલ કરવામાં આવી હતી.