વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં INDIA ગઠબંધનનાં વિદ્યાર્થી સંગઠનોએ સોમવારે દેશભરમાં બેરોજગારીના મુદ્દા સામે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થી સંગઠનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નિમણૂકો પર UGCની પ્રસ્તાવિત માર્ગદર્શિકા પાછી ખેંચવા અને વિદ્યાર્થી સંગઠનોની પુનઃસ્થાપનાની માગ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશનો સૌથી મોટો મુદ્દો રોજગારનો છે અને સરકાર આ મુદ્દે મૌન છે. અમે વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન કરીશું નહીં. RSS દેશની શિક્ષણ વ્યવસ્થાને નાશ કરી રહ્યું છે અને ભવિષ્યમાં કોઈને રોજગાર મળશે નહીં.રાહુલે કહ્યું, ‘એક સંગઠન ભારતના ભવિષ્ય, શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનું નામ RSS છે. સત્ય એ છે કે આપણી શિક્ષણ પ્રણાલી ધીમે ધીમે તેના હાથમાં જઈ રહી છે. જો આ વ્યવસ્થા તેના હાથમાં જશે તો દેશ બરબાદ થઈ જશે. કોઈને રોજગાર મળશે નહીં.’ વિરોધપ્રદર્શનમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI), ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન (AISA), સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI), ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (AISF), મુસ્લિમ સ્ટુડન્ટ્સ ફેડરેશન (MSF), સમાજવાદી છાત્ર સભા અને છાત્ર રાષ્ટ્રીય જનતા દળ (CRJD) જોડાયાં છે.
રાહુલે કહ્યું, ‘વિદ્યાર્થીઓને જણાવવાની જવાબદારી તમારી છે કે યુનિવર્સિટીના કુલપતિ RSSમાંથી છે. આવનારા સમયમાં બધી યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂક RSSમાંથી નોમિનેશન દ્વારા કરવામાં આવશે. આ દેશ માટે ખતરનાક છે. આપણે આને રોકવું પડશે.’ ‘થોડા દિવસો પહેલાં વડાપ્રધાને કુંભ પર ભાષણ આપ્યું હતું. આ વિશે બોલવું સારું છે, પરંતુ તમારે ભવિષ્ય વિશે પણ વાત કરવી જોઈએ. તમારે બેરોજગારી વિશે વાત કરવી જોઈએ, દેશના યુવાનોમાં જે બેરોજગારી વધી રહી છે એના વિશે તમારે વાત કરવી જોઈએ.’
રાહુલે કહ્યું, ‘દેશના દરેક ખૂણામાં, દરેક ગલીમાં, દરેક યુનિવર્સિટીમાં આ રીતે વિરોધ કરો. તમે અમને જ્યાં લઈ જવા માગો છો ત્યાં હું તમારી સાથે જઈશ. તમે વિદ્યાર્થીઓ છો. અહીં અલગ અલગ પક્ષો છે, વિચારધારામાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ અમે ભારતની શિક્ષણ પ્રણાલી સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં. અમે સાથે મળીને આગળ વધીશું અને RSS અને BJPને હરાવીશું.’