ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદથી પૂરનો ભય સર્જાયો છે. ચારધામ સહિત 11 જિલ્લાઓમાં એલર્ટ જારી કરાયું છે, નદીઓનું સ્તર વધ્યું છે અને સુરક્ષા માટે પ્રશાસન દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં પૂરનો ગંભીર ભય ઊભો થયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને તંત્રને સંપૂર્ણપણે એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગે ચારધામ યાત્રાના માર્ગો સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. અનેક વિસ્તારોમાં વીજળી પડવાની અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નીતિ ખીણમાં બેલી બ્રિજ ધોવાઈ જવાના કારણે અલકનંદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે, જેનાથી રુદ્રપ્રયાગના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. દેહરાદૂનના કારગી વિસ્તારમાં ભારે વરસાદના જોરદાર પ્રવાહને કારણે એક ઘર ધરાશાયી થયું હતું. સદનસીબે મહિલા પોતાના ત્રણ બાળકો સાથે સમયસર બહાર દોડી આવતા મોટો જાનમાલ ટળી ગયો હતો, પરંતુ તેમનો તમામ સામાન અને મહત્વના દસ્તાવેજો પાણીમાં તણાઈ ગયા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ, કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી, ગંગોત્રી, જોશીમઠ, સોનપ્રયાગ, પિથોરાગઢ, બાગેશ્વર અને ચમોલી સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દેહરાદૂન, ઉત્તરકાશી, પૌરી, હરિદ્વાર, રુદ્રપ્રયાગ, ટિહરી અને નૈનિતાલ જેવા જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. સતત વરસાદને કારણે વિકાસનગરની એક પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જવાથી નાના બાળકો ફસાયા હતા, જોકે ગ્રામજનોની સમયસૂચકતાથી બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
લોકોને બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ
રાજ્યમાં નદીઓ અને નાળાઓનું જળસ્તર અતિશય વધવાથી ગંભીર અકસ્માતોની સંખ્યા વધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં માલદેવતા અને સહસ્ત્રધારા નદીના પ્રવાહમાં તણાઈ જવાથી કેટલાક લોકોના કરુણ મોત નીપજ્યા છે. સપ્તાહના અંતે પિકનિક મનાવવા નદી કિનારે જતા લોકોની બેદરકારી પોલીસ વહીવટીતંત્ર માટે ચિંતાનો મોટો વિષય બની છે. આ જીવલેણ જોખમોને અટકાવવા માટે હવે પ્રશાસન અને પોલીસે નદી કિનારે ફરતા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ધાર કર્યો છે. પ્રશાસન દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અને સુરક્ષિત સ્થાનો પર રહેવાની અપીલ કરવામાં આવી છે.




