કેન્દ્ર સરકારે ખનિજો પર રાજ્યો દ્વારા વધારાનો ટેક્સ લગાવવાની સત્તા છીનવી લેતું બિલ રજૂ કર્યું છે, જેથી કેન્દ્રનું નિયંત્રણ વધે. આનો હેતુ ટેક્સની અસમાનતા દૂર કરીને ઉદ્યોગ, રોકાણ અને સામાન્ય નાગરિકોને લાભ પહોંચાડવાનો છે.
સંસદના મોન્સૂન સત્રમાં કેન્દ્ર સરકારે ખાણો અને ખનિજો સંબંધિત નિયમોમાં મહત્વના ફેરફારો કરતું એક બિલ રજૂ કર્યું છે. જો આ કાયદો બની જાય તો રાજ્ય સરકારો મિનરલ રાઇટ્સ પર કોઈ વધારાનો ટેક્સ નહીં લગાવી શકે. આ બિલનું નામ ‘માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ બિલ 2026’ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખનિજો પર ટેક્સ લગાવવાની રાજ્યોની સત્તાને લીમીટેડ કરવાનો અને કેન્દ્ર સરકારનું નિયંત્રણ વધારવાનો છે.
લોકસભામાં આ બિલ કોલસા અને ખાન મંત્રી જી. કિશન રેડ્ડીએ રજૂ કર્યું હતું. આ બિલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય સરકાર ખનિજ અધિકારો પર કોઈ ટેક્સ, સેસ કે આવા કોઈ અન્ય ચાર્જ નહીં લગાવે.” આ જોગવાઈઓ માત્ર ખનિજો પૂરતી જ નહીં, પરંતુ ખનિજવાળી જમીનો પર પણ લાગુ પડશે.
આ બિલ 2024ના સુપ્રીમ કોર્ટના તે નિર્ણય બાદ લાવવામાં આવી રહ્યું છે જેમાં 9 જજોની બેન્ચે રાજ્યોના તે અધિકારને સાચો ઠેરવ્યો હતો જેના હેઠળ તેઓ MMDR એક્ટ હેઠળ રોયલ્ટીથી અલગ ખનિજ અધિકારો પર ટેક્સ લગાવી શકતા હતા. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રોયલ્ટી કોઈ ટેક્સ નથી.




