28 માર્ચે મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપથી મૃત્યુઆંક વધીને 2,056 થઈ ગયો છે, જ્યારે 3,900 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે અને લગભગ 270 લોકો હજુ પણ ગુમ છે. જોકે હવે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બલૂચિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર છેક કરાંચી સુધી થઈ છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 આંકવામાં આવી છે. ધરતી ધ્રૂજતા ભારે અફરાતફરી સર્જાઈ હતી અને અનેક લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. કરાંચીમાં અનેક લોકોએ ભૂકંપની સ્થિતિ સોશિયલ મીડિયા પર શેર કરી છે.ધરતી ધ્રૂજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
મળતા અહેવાલો મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ બલૂચિસ્તાન પ્રાંતની જમીનમાં 10 કિલોમીટર અંદર હતું. લોકોએ કહ્યું કે, કરાંચીમાં સોમવારે સાંજે સ્થાનિક સમય અનુસાર 4.11 કલાકે ધરતી ધ્રૂજી હોવાનો અહેસાસ થયો હતો અમેરિકન એજન્સી USGSએ કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર બલૂચિસ્તાનના ઉથલ શહેરથી 65 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4થી વધુ આંકવામાં હતી, જેના કારણે કરાંચી સુધી ભૂકંપ અનુભવાયો છે. થોડા દિવસ પહેલા જ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં વ્યાપક તબાહી મચી ગઈ હતી, જેના કારણે પાકિસ્તાનમાં પણ લોકો ડરી ગયા છે. જો કે પાકિસ્તાનમાં ક્યાંય પણ નુકસાનના અહેવાલ નથી.