એકસાથે ત્રણ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઇ રહ્યો છે. ભારે પવન અને કડાકા-ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં 21 લોકોના મોત થયા છે. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17ના મોત થયા છે, જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં 3 વ્યક્તિ અને 45 પશુનાં મોત થયા છે.
ગુજરાત પર અપર સિસ્ટમ હજુ સક્રીય રહેતાં વધુ ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. વરસાદને કારણે કેરી રસિકોને ફાયદો થશે.કારણ કે એક સાથે બજારમાં બધી કેરીઓ આવી જાય તો કિંમત સસ્તી થઈ જશે.પરંતુ સિઝન લાંબા સમય સુધી ચાલશે નહીં. ખેડૂતો પાસેથી આંબા રાખનારા સિઝન શરૂ થાય તે પહેલા એક સાથે વાડી લઈ લેતા હોય છે અને છેક જૂન મહિનાના પ્રારંભ સુધી કટકે કટકે અંબાઓ વેડીને કમાતા હોય છે. પરંતુ અત્યારે નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે.