પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં 7 મેના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ સાંજે 4 વાગ્યે સાયરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મોકડ્રિલ બપોરના 4 વાગ્યાથી શરૂ થઈ 8 વાગ્યા સુધી તબક્કાવાર ચાલી હતી. ત્યાર બાદ 7.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી તબક્કાવાર બ્લેક આઉટ કરવામાં આવ્યો હતો. જેમાં યુદ્ધની સ્થિતિ સામે લડવાની તૈયારીઓ કરવામાં આવી હતી.
આ મોકડ્રિલ દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, નવસારી અને ભરૂચ જેવા વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી.. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓને કેવી રીતે દાખલ કરવા તેની પણ મોકડ્રિલ કરવામાં આવી હતી. યુદ્ધની સ્થિતિમાં જ્યારે અંધારપટની સૂચના મળે ત્યારે તમામ લાઈટો બંધ કરી દેવા અંગેની જાણ કરવામાં આવે છે. જે અંગેની મોકડ્રિલ સાંજથી 18 જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં 30 મિનિટ માટે બ્લેકઆઉટ કરવા તમામ લોકોને જાણ કરવામાં આવી હતી પરંતુ બ્લેકઆઉટને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ધંધાના સ્થળ તેમજ જાહેર સ્થળોએ લાઇટો બંધ કરવાની હોવા છતાં પણ લાઈટો ચાલુ રાખી હતી જેના કારણે બ્લેકઆઉટનું સંપૂર્ણપણે પાલન થઈ શક્યું નહોતું.