ભારતે સુરક્ષા કારણોસર તેના 22 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દીધા. આ સંજોગોમાં, સુરતનું હવાઈ ક્ષેત્ર વૈશ્વિક વિમાનો માટે એક મહત્વપૂર્ણ વૈકલ્પિક માર્ગ તરીકે ઉભરી આવ્યું છે. પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ થતાં મુંબઈ ATC પર દબાણ હતું, પરંતુ સુરત ATC (એર ટ્રાફિક કંટ્રોલ)એ આ ભાર ઓછો કર્યો હતો. આ અનુભવે દર્શાવ્યું કે સુરત જેવા મધ્યમ કદના શહેરો પણ 24×7 વૈશ્વિક ઉડ્ડયન નક્શામાં પોતાનું સ્થાન બનાવી શકે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન સૌથી મોટી સમસ્યાઓમાંની એક એર સ્પેસની સમસ્યા હતી. પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું, જેને કારણે ભારત જતી અને આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સુરતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવું પડતું હતું. 4 મેથી 10 મે દરમિયાન એટલે કે છેલ્લા 7 દિવસમાં 6,469 ફ્લાઇટ્સ સુરતના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ હતી, જે મુજબ એક કલાકમાં સરેરાશ 39 ફ્લાઇટ્સે સુરતના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો. એક અઠવાડિયા પહેલા સુધી, દરરોજ લગભગ 600 થી 700 વિમાન સુરતના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરતા હતા.
નોંધનીય છે કે બુધવાર અને શુક્રવાર વચ્ચે, આ સંખ્યા અનુક્રમે 981, 1014 અને 1008 નોંધાઈ હતી, જે આ પ્રદેશ માટે ઐતિહાસિક ગણી શકાય. ફક્ત શનિવારે જ આ સંખ્યા ઘટીને 840 થઈ ગઈ. સુરતના હવાઈ ક્ષેત્રમાં વધતા જતા હવાઈ ટ્રાફિકને કારણે યુરોપ, ચીન, મલેશિયા અને ગલ્ફ દેશો તરફ જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હવે વૈકલ્પિક માર્ગ તરીકે સુરતના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી રહી છે. આ ફ્લાઇટ્સ, 35 હજારથી 41 હજાર ફૂટની ઊંચાઈએ સુરતના હવાઈ ક્ષેત્ર થઈને યુરોપ, ચીન, એશિયા અને આફ્રિકાના દેશોમાં ઉડાન ભરી હતી. માહિતી અનુસાર, સુરતનો ઉપયોગ 100 % સુધી વધ્યો છે.