બુધવારે રાત્રે ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું હતું અને રસ્તો બંધ થઈ
ગયો હતો. આ દરમિયાન 40 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. SDRF ટીમે ઘટનાસ્થળે પહોંચીને બધાને
સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટતા અને પૂરને કારણે
મૃત્યુઆંક વધીને 11 થયો છે. 34 લોકો હજુ પણ ગુમ છે. બુધવારે વધુ 6 મૃતદેહ મળી આવ્યા હતા.
ખરાબ હવામાનને કારણે રાહત કાર્ય મુશ્કેલ બની શકે છે કારણ કે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં
પૂરની ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગે આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
જાહેર કર્યું છે. રાજસ્થાનમાં છેલ્લા 4 દિવસથી વરસાદ ચાલુ છે. બુધવારે ભારે વરસાદ બાદ અજમેર
શરીફ દરગાહ સંકુલ 2 ફૂટ પાણીથી ભરાઈ ગયું હતું.તેમજ, ભારે વરસાદ દરમિયાન, દરગાહ પરિસરમાં
બનેલા વરંડાની છતનો એક ભાગ પણ તૂટી પડ્યો હતો. જો કે, આ દરમિયાન કોઈને ઈજા થઈ નથી.
દરગાહ સમિતિએ તે વિસ્તારમાં લોકોની અવરજવર બંધ કરી દીધી છે. અહીં, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી
સીઆર પાટીલે બુધવારે સી-ફ્લડ નામની વેબ-આધારિત ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ લોન્ચ કરી. તે પૂર
આવે તેના બે દિવસ પહેલા એલાર્મ વગાડીને ગામડાઓને ચેતવણી આપી શકે છે.