દક્ષિણ ભારતીય સિનેમાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મ ઉદ્યોગના જાણીતા
અભિનેતા અને મિમિક્રી કલાકાર કલાભવન નવાસનું શુક્રવારે અવસાન થયું છે. તેમના નિધનના
સમાચારથી ચાહકો અને સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. નવાસના વર્સેટિલિટી ટેલેન્ટે અને
યાદગાર અભિનયથી તેમણે લાખો દિલોમાં સ્થાન બનાવ્યું હતું.
શુક્રવારે સાંજે ચોટ્ટાનિકારા ખાતેની એક હોટેલમાં કલાભવન નવાસ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
તેઓ એક ફિલ્મના શૂટિંગ માટે આ હોટેલમાં રોકાયા હતા. હોટેલના ચેકઆઉટના સમયે ચેક આઉટ કરવા
ન પહોંચતા હોટલ કર્મચારી તેના રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં નવાસ બેભાન હાલતમાં જોવા મળ્યા. હોટેલ
સ્ટાફે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક
માહિતી પ્રમાણે કલાભવન નવાસનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાની શંકા છે, જોકે હજુ સુધી મૃત્યુનું
ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તેમના રૂમમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી
છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો જાણવા મળશે.