ભારતની સંસદે સુધારો કરીને હિન્દુઓ સહિત અનેક સમુદાયોને અનેક કેસોમાં વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટે માન્યતા લેવાની જરૂર રહેશે નહીં. પ્રોબેટના નિયમોના જાણકારોનું કહેવું છે કે મૃત સ્વજનના વસિયતનામાનો અમલ કરવા માટે પહેલા પ્રોબેટ લેવો પડતો હતો. આ પ્રોબેટ મેળવવામાં ઘણીવાર બારથી અઢાર મહિના લાગી જતા હતા. તેમ જ પ્રોબેટ મેળવવા માટે 50 હજાર રૂપિયાથી વધારેનો ખર્ચ પણ થઈ જતો હતો. હવે આ ખર્ચની જફામાંથી મુક્તિ મળી જશે.
અંગ્રેજોનના સમયથી વસિયતનો અમલ કરાવવા માટે કોર્ટની માન્યતા મેળવવાનો નિયમ હતો. ભારતની સંસદે કોર્ટની માન્યતા લેવાની સિસ્ટમને કાઢી નાખવાનો નિર્ણય કર્યો હોવાથી દેશના અનેક પરિવારો માટે વસિયતનો અમલ કરાવવો સરળ બની જશે. ભારતની સંસદમાં જૂના કાયદાઓ રદ કરતા અને સુધારાઓ અમલમાં લાવતા ખરડા પસાર કરી દેવામાં આવતા આ સુધારો અમલમાં આવી ગયો છે. પ્રસ્તુત બિલના માધ્યમથી 71 જૂના અને વર્તમાન સમયમાં અપ્રસ્તુત ગણાતા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. તદુપરાંત ચાર અન્ય કાયદાઓમાં ફેરફાર કરીને કાયદાકીય માળખું સરળ બનાવવામાં આવ્યું છે. બ્રિટીશ કાળથી અમલમાં આવેલી ભેદભાવપૂર્ણ જોગવાઈઓ દૂર કરી દેવામાં આવી છે.
લોકસભામાં મંજૂરી બાદ રાજ્યસભામાં પણ મૌખિક મતદાનથી પ્રસ્તુત બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, આ કાયદો નાગરિકોના ઈઝ ઓફ લીવિંગ-જીવનની સરળતા-વધારવા માટે લાવવામાં આવ્યો છે, કારણ કે તે બિનજરૂરી કાનૂની અડચણો ઊભી કરતી જૂની જોગવાઈઓ દૂર કરે છે. આ સુધારો ભારતીય વારસા અધિનિયમ, 1925ની કલમ 213 સાથે સંબંધિત છે. હાલના કાયદા મુજબ બોમ્બે પર આ જોગવાઈ લાગુ પડતી ન હતી, જેના કારણે ધર્મ અને ભૂગોળ આધારિત અસમાનતા સર્જાતી હતી.






