મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે કાર અકસ્માતની ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે છ વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને આ અકસ્માત નડ્યો હતો.
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના પાલીના વતની આ પરિવારના સભ્યો વતનમાં એક લગ્ન પ્રસંગ માણીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. ઉનાવા હાઈવે પર તેમની ઈકો કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાતા આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત અને 6 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા.
મહેસાણા-ઊંઝા હાઈવે પર ઉનાવા નજીક સર્જાયેલો અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં રામલાલ કુમાવત, કૈલાશભાઈ કુમાવત, કોમલબેન અને એક નિર્દોષ માસૂમ બાળક સહિત કુલ 4 સભ્યોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.બનાવની જાણ થતા જ ઉનાવા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાર ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધ્યો છે. હાઈવે પર વિખરાયેલી ઘરવખરી અને લોહીના ડાઘા એ વાતની સાક્ષી પૂરી રહ્યા હતા કે સ્પીડ અને બેદરકારી કેવી રીતે એક હસતા-રમતા પરિવારને ઉજ્જડ કરી શકે છે.




